વડોદરા કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવાથી શાહરુખ ખાનને મુક્તિ મળી, ગુજરાત હાઇકોર્ટે સમન્સ ઓર્ડર રદ કર્યોં
વડોદરા કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવાથી શાહરુખ ખાનને મુક્તિ મળી, ગુજરાત હાઇકોર્ટે સમન્સ ઓર્ડર રદ કર્યોં
ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન સામે ફિલ્મ પ્રમોશન મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે વડોદરા મેજિસ્ટ્રેટ દ્વારા શાહરૂખ ખાનને તેની સામે થયેલ ફરિયાદ સંદર્ભે હાજર થવાના સમન્સને રદ કર્યું છે. જેથી તેને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવામાંથી મુક્તિ મળી છે. વર્ષ 2017માં વડોદરા રેલવે સ્ટેશન પર રઈસ ફિલ્મના પ્રમોશન મામલે એક વ્યક્તિનું મોત થયું હતું. જે અંગે શાહરુખ ખાન સામે ફરિયાદ નોંધાઈ હતી.
વડોદરામાં શાહરુખ ખાન સામે થયેલી ફરિયાદ મામલે વડોદરા મેજિસ્ટ્રેટ દ્વારા શાહરૂખને હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેને લઇને શાહરૂખ ખાને મેજિસ્ટ્રેટના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે અરજદારના વકીલે જણાવ્યું કે, 'ગુજરાત હાઇકોર્ટે મેજિસ્ટ્રેટના સમન્સના હુકમને રદ કર્યો છે'. જેથી શાહરૂખને પ્રત્યક્ષ રીતે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવામાંથી મુક્તિ મળી છે.
આ મામલે અભિનેતા શાહરૂખ ખાન તરફથી સિનિયર એડવોકેટ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, જેમાં 'એક વ્યક્તિના મોત થવાનું કારણ સીધી રીતે શાહરુખનું ટ્રેનમાં આવી પ્રમોશન કરવું, તે માની ન શકાય'.
વડોદરા રેલવે સ્ટેશન ખાતે 23 જાન્યુઆરી 2017ના રોજ રાત્રે 10 કલાકે શાહરુખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. એક્ટર પર કોચ નંબર A-4માં, જ્યાં તેનું બુકીંગ ન હતું, ત્યાંથી પ્રમોશનલ એક્ટીવિટી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. તેણે વડોદરામાં થોડો સમય રોકાણ કર્યું હતું. શાહરુખ ખાનના આવવાથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 પર લોકોની ભારે માત્રામાં ભીડ એકઠી થઈ હતી, આ સમયે અભિનેતાએ ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, બાદમાં અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી. જે મામલે શાહરુખ ખાન સામે ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે વડોદરા મેજિસ્ટ્રેટ દ્વારા અભિનેતાને હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું.

0 Response to "વડોદરા કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવાથી શાહરુખ ખાનને મુક્તિ મળી, ગુજરાત હાઇકોર્ટે સમન્સ ઓર્ડર રદ કર્યોં"
ટિપ્પણી પોસ્ટ કરો