રાજકોટમાં કુરિયર આવ્યાનું કહી 3 શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી દબોચ્યો, સગીરે બુમાબુમ કરતા ત્રણેય નાસી ગયા
રાજકોટમાં કુરિયર આવ્યાનું કહી 3 શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી દબોચ્યો, સગીરે બુમાબુમ કરતા ત્રણેય નાસી ગયા
રાજકોટમાં જાણે લુખ્ખા તત્વોને પોલીસ કે કાયદાનો કોઇ ડર ન હોય તેમ અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. જ્યાં શહેરના નિર્મલા રોડ પર કુરિયર આવ્યાનું કહી ત્રણ શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી પકડી લીધો હતો અને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સગીરે બૂમાબૂમ કરતાં ત્રણેય શખ્સો સગીરને મૂકીને ત્યાંથી નાસી ગયા હતા. આ મુદ્દે હાલ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કુરિયરના કેટલા પૈસા આપવાના છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નિર્મલા રોડ પર રહેતા તબીબ દંપતી ડો.જીગ્નેશ ખંધડિયા અને ડો.હેમા ખંધડિયાના સગીર પુત્રને તેના ઘર પાસેથી ઇકો કાર માંથી ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે સગીરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે 9.17 વાગ્યે હું અને મારા દાદી ઘરે હતા ત્યારે મારા મોબાઈલ નંબર ઉપર કોલ આવ્યો હતો. અને મને કહેલ કે બ્લુ ડાર્ટ કુરીયરમાંથી પાર્સલ આવેલ છે જેથી નીચે આવીને લઇ જાવ તેમ કહેતા હું મારા ઉપરના માળેથી નીચે આવી મારા ઘરની ડેલી ખોલી બહાર આવતા નીચે વ્હાઇટ કલરની ઇકો કાર હતી અને કારની બાજુમાં ફૂટપાથ ઉપર એક વ્યક્તિ ઉભેલ હતો તેને મેં જણાવેલ કે પાર્સલના કેટલા પૈસા આપવાના છે તેમ કહેતા કારમાંથી અન્ય એક વ્યક્તિ નીચે ઉતરેલ અને મારી પાસે આવેલ અને આ બન્ને જણાએ મને ખેંચી તે લોકો જે ઇકો કાર લાવેલ હતા.
ઝપાઝપી થતા હું પડી ગયો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે. જેમાં મને નાખવાની કોશિષ કરતા હતા. તે દરમ્યાન આ ઇકો કારમાંથી ત્રીજો વ્યક્તિ નીચે ઉતરી મારી પાસે આવેલ અને આ ત્રણેય સાથે મળી મને ઇકો કારમાં નાખવાની કોશિષ કરતાં મેં આ લોકોનો સામનો કરતા અમારી વચ્ચે ઝપાઝપી થતા હું પડી ગયો હતો અને મારા ડાબા પગમાં ઘુંટી પાસે મને મુંઢ ઇજા થયેલ છે. અને મે રાડોરાડ કરતા આ ત્રણેય જણા ઇકો કારમાં બેસી નિર્મલા રોડ તરફ ભાગી ગયેલ અને આ કારમાં કોઇ રજીસ્ટર નંબર ન હતા. ત્યારબાદ હું ઘરમાં જતો રહેલ અને ત્યારબાદ મેં મારા પપ્પાને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી.
તપાસના ચક્રો ગતિમાન કર્યા
હાલ આ મુદ્દે ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. અને સગીરનું અપહરણ ખંડણી માટે થયું છે કે અન્ય કોઈ કારણે એ અંગે વિગતો જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે અને આરોપીઓને કાયદાના સકંજામાં લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નોંધઃ આ એક સંવેદનશીલ ઘટના હોવાથી પીડિત પરિવારના ઘરની તસવીરો પબ્લિશ કરી નથી.
0 Response to " રાજકોટમાં કુરિયર આવ્યાનું કહી 3 શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી દબોચ્યો, સગીરે બુમાબુમ કરતા ત્રણેય નાસી ગયા"
ટિપ્પણી પોસ્ટ કરો