વિવાદો વચ્ચે શમાના સેલ્ફ મેરેજ કોઈ પંડિતજી ન મળતા વડોદરાની શમાએ અંતે જાત સાથે 'ગંધર્વવિવાહ' કર્યાં, જાતે જ મંગળસૂત્ર પહેર્યું, સેંથામાં સિંદૂર પૂર્યું
વિવાદો વચ્ચે શમાના સેલ્ફ મેરેજ કોઈ પંડિતજી ન મળતા વડોદરાની શમાએ અંતે જાત સાથે 'ગંધર્વવિવાહ' કર્યાં, જાતે જ મંગળસૂત્ર પહેર્યું, સેંથામાં સિંદૂર પૂર્યું
વડોદરા શહેરના સુભાનપુરામાં રહેતી શમા બિંદુએ વિવાદો વચ્ચે આત્મવિવાહ કરી લીધા છે. પોતાના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં જ પોતાની સાથે લગ્ન કર્યાં છે. કોઈ પંડિતજી ન મળતા વડોદરાની શમા બિંદુએ પોતાની જાત સાથે 'ગંધર્વવિવાહ' કર્યાં હતા અને જાતે જ મંગળસૂત્ર પહેરીને સેંથામાં સિંદૂર પૂર્યું હતું. મોબાઇલમાં વીડિયો પ્લે કરીને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શમાના લગ્નમાં ત્રણેક મહિલા મિત્રો અને બે પુરુષો હાજર રહ્યા હતા. લગ્ન કર્યાં બાદ તેને સપોર્ટ કરનાર અને લગ્નમાં હાજરી આપનાર તમામ લોકોનો સોશિયલ મીડિયા પર આભાર માન્યો હતો.
શમાના આત્મવિવાહનો વિરોધ થયો હતો
વડોદરાના સુભાનપુરા રોડ પર આવેલા એક ભાડાના ફ્લેટમાં રહેતી શમા બિંદુએ આત્મવિવાહ એટલે કે, પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા વિવાદ ઉભો થયો હતો. શમાએ પહેલા જાહેરાત કરી હતી કે, હું મારી જાત સાથે જ મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કરીશ. જેનો વડોદરાના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. જેથી શમાએ મંદિરમાં લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. શમાએ 11 જૂને લગ્ન કરવાની જાહેરા ત કરી હતી. પરંતુ. તેની પહેલા જ તેને લગ્ન કરીને સૌ-કોઇને ચોંકાવી દીધા છે.
ગંધર્વવિવાહ એટલે શું?
ઈશ્વરની સાક્ષીએ, ક્યાંતો કોઈ મંદિરમાં મૂર્તિના સન્મુખે અથવા તો મંદિર ન હોય તો કોઈ પણ સ્થળે ઈશ્વરના નિરાકાર સ્વરુપે ઉપસ્થિતિને સાક્ષી માની એકબીજાને હારતોરા કરીને આજીવન એકબીજાના જીવનસાથી બનવાના શપથ લઈને પરિણય સૂત્રમાં બંધાય તેને પુરાતનકાળમાં ગંધર્વવિવાહ તરીકે ઓળખવામાં આવતા હતા. મહાકવિ કાલિદાસના મહાકાવ્ય અભિજ્ઞાન શાકુન્તલમમાં ગંધર્વવિવાહનો ઉલ્લેખ છે. આ મહાકાવ્યમાં રાજા દુષ્યંત અને શકુંતલા ગંધર્વવિવાહ કરે છે, જેમાં તેઓ અરણ્યમાં નદીકિનારે નિરાકાર ઈશ્વરની સાક્ષીએ એકબીજાને હારતોરા કરીને પરિણય સૂત્રમાં બંધાય છે.
શમાએ પોસ્ટ મૂકીઃ No Media Allowed
આ પહેલા શમા બિંદુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી કે, No Media Allowed (મીડિયાકર્મીઓએ આવવું નહીં). સાથે જ તેણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, કોઇપણ મીડિયાકર્મી મારા ઘર કે સોસાયટી આસપાસ ન આવે. જે લોકોને લાગે છે કે હું આ બધું (આત્મવિવાહ) પ્રસિદ્ધિ માટે કરુ છું, તો એવું બિલકુલ નથી. મેં તો જેવું હંમેશાથી વિચાર્યું હતું તેવા મારે તો માત્ર સાદગીથી મારા લગ્ન કરવા હતા. પરંતુ, હવે હું મારા લગ્નની વચ્ચે રાજકારણ અને મીડિયાને લાવવા માંગતી નથી. જો કોઇ મીડિયા મારો ઇન્ટરવ્યું કે ડિબેટ કરવા માંગે છે તો પહેલા ફોન કે સોશિયલ મીડિયાથી મારો સંપર્ક કરે. હું તેમની સાથે ઓનલાઇન વાતચીત કરીશ.
સોસાયટીમાં મારા પ્રત્યે નારાજગી છે
તેણે કહ્યું હતું કે, મારા સમાચાર વાઇરલ થતાં ઘણા બધા મીડિયાવાળા મારા ઘરે આવતા હતા તેથી મારી સોસાયટીવાળાઓએ મને કહ્યું કે, ઘરે મીડિયાકર્મીઓ એલાઉ નથી. સોસાયટીમાં મારા પ્રત્યે નારાજગી છે અને મારે ઘર ખાલી કરી દેવું પડે ત્યાં સુધી વાત પહોંચી છે. ઘર ખાલી કરવું પડે તે હું ઇચ્છતી નથી. મેં ન્હોતુ વિચાર્યું કે વાત આટલે સુધી આગળ વધી જશે. હું મીડિયા સાથે ઓનલાઇન વાત કરીશ પણ રૂબરૂમાં નહીં મળું.


0 Response to "વિવાદો વચ્ચે શમાના સેલ્ફ મેરેજ કોઈ પંડિતજી ન મળતા વડોદરાની શમાએ અંતે જાત સાથે 'ગંધર્વવિવાહ' કર્યાં, જાતે જ મંગળસૂત્ર પહેર્યું, સેંથામાં સિંદૂર પૂર્યું"
ટિપ્પણી પોસ્ટ કરો