કેવી રીતે શરૂ થયો હિજાબ vs ભગવા વિવાદ
કર્ણાટકના કુંડાપુરા કોલેજની 28 મુસ્લિમ વિદ્યાર્થીને હિજાબ પહેરીને ક્લાસ અટેન્ડ કરતાં રોકવામાં આવી હતી. આ ઘટના વિશે વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે ઈસ્લામમાં હિજાબ ફરજિયાત છે, તેથી એની મંજૂરી આપવી જોઈએ.
છોકરીઓના હિજાબ પહેરવા વિશેના જવાબમાં હિન્દુ સંગઠનોના છોકરાઓએ કોલેજ કેમ્પસમાં ભગવા શાલ પહેરવા કહ્યું હતું. જ્યારે હુબલીમાં શ્રીરામ સેનાએ કહ્યું હતું કે જે લોકોએ બુરખો અથવા હિજાબ પહેરવાની માગણી કરી છે, તેઓ પાકિસ્તાન જઈ શકે છે. એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે હિજાબ પહેરીને શું ભારતને પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે?
કર્ણાટકમાં ચાલતો હિજાબ વિવાદ હવે સુપ્રીમકોર્ટ પહોંચી ગયો છે. એને ચીફ જસ્ટિસની બેન્ચ સામે રજૂ કરવામાં આવ્યો છે. એડવોકેટ અને કોંગ્રેસનેતા કપિલ સિબ્બલે આ કેસ સુપ્રીમકોર્ટ ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે.
હિજાબ વિવાદ પર કપિલ સિબ્બલે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે સ્કૂલો-કોલેજો બંધ કરવી પડી છે, છોકરીઓ પર પથ્થરમારો થયો છે. આ એ ધાર્મિક કેસ જેવો જ છે, જેમાં 9 જજની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે સબરીમાલા મંદિર વિવાદ પર સુપ્રીમકોર્ટની 9 જજની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.
સુપ્રીમકોર્ટે કહ્યું- પહેલા હાઈકોર્ટમાં સુનાવણી થવા દો
સિબ્બલની ભલામણ પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે પહેલા આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થવા દો. કર્ણાટક હાઈકોર્ટે આ કેસ મોટી બેન્ચને ટ્રાન્સફર કર્યો છે. આ વિશે સિબ્બલે કહ્યું હતું કે તેઓ આ કેસ સુપ્રીમકોર્ટમાં લિસ્ટ થાય એવી માગણી કરી રહ્યા છે. જો હાઈકોર્ટ આ વિશે કોઈ આદેશ નથી આપતી તો સુપ્રીમકોર્ટે આ કેસ તેમની પાસે ટ્રાન્સફર કરવો જોઈએ. સિબ્બલે માગણી કરી છે કે સુપ્રીમકોર્ટ આ કેસને ટ્રાન્સફર કરીને આર્ટિકલ 25 અંતર્ગત સુનાવણી કરે અને રાજ્યની એમાં કેવી ભૂમિકા છે એ જુઓ. સિબ્બલે કહ્યું- ત્યાં મહિલાઓ પર હુમલા થઈ રહ્યા છે, તેમના પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે.
હાઈકોર્ટે મોટી બેન્ચને કેસ ટ્રાન્સફર કર્યો
હિજાબ વિવાદ પર બુધવારે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુનાવણી કરનાર કર્ણાટક HCના જજ જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતે આ કેસ મોટી બેન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે. જસ્ટિસ દક્ષિતે કહ્યું હતું કે આ કેસ વિશે વચગાળાની રાહત વિશે પણ મોટી બેન્ચ વિચાર કરશે.
કોલેજોમાં હિજાબની મંજૂરી ના આપવાના વિરોધની અરજી કર્ણાટક હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે પણ આ વિશે સુનાવણી કરી હતી. કોર્ટની સિંગલ બેન્ચે બુધવારે આ કેસ મોટી બેન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે અરજી કરનાર તરફથી દલીલ કરવામાં આવી છે કે આ કેસ ઘણો ગંભીર છે, તેથી તે મોટી બેન્ચને મોકલવો જરૂરી છે.
0 Response to "કેવી રીતે શરૂ થયો હિજાબ vs ભગવા વિવાદ"
ટિપ્પણી પોસ્ટ કરો