રાજસ્થાનના CM અશોક ગેહલોતના સલાહકારનું ટ્વીટ, વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર
રાજસ્થાનના CM અશોક ગેહલોતના સલાહકારનું ટ્વીટ, વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર
ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે અમે કોઈ કોંગ્રેસીને પક્ષમાં લઈશું નહીં, પરંતુ જયરાજસિંહ પરમાર અને AMCના પૂર્વ નેતા દિનેશ શર્મા સહિતના નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આટલું જ નહીં, તેમની સાથે અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે ફરીવાર ભાજપમાં મોટો ભરતીમેળો યોજાય એવી ખુદ કોંગ્રેસના જ નેતાએ શક્યતાઓ દર્શાવી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ દાવો કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર છે. તેમના આ ધડાકાથી ગુજરાત કોંગ્રેસમાં જબરદસ્ત હલચલ શરૂ થઈ ગઈ છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ તૂટવાની આશંકા
સંયમ લોઢાએ 18મી માર્ટે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્ય પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોના સંપર્કમાં છે. આ અંગે મેં ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસનો શુભેચ્છક હોવાના નાતે આવા ષડયંત્રનો પર્દાફાશ કરવાની મારી ફરજ છે. મેં બધાને ચેતવણી આપી છે, સાવચેત રહેવું જરૂરી છે.
2020માં કોંગ્રેસના આઠ ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા
2020માં કોંગ્રેસના 8 ધારાસભ્યએ રાજીનામાં આપ્યાં હતાં અને તેઓ જૂન 2020માં ભાજપમાં જોડાયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો આ ટ્રેન્ડ જૂનો છે. તાજેતરમાં જ કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં હવે કોંગ્રેસના 65 ધારાસભ્ય બચ્યા છે. કોંગ્રેસે ભાજપ પર છેડછાડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
સંયમ લોઢા પોતાની સરકારની ટીકાઓ કરતા હોય છે
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગેહલોતના સલાહકાર સંયમ લોઢા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની જ સરકારની ટીકા કરતા આવ્યા છે. વિધાનસભામાં અનેક વખત સંયમ લોઢાએ કોંગ્રેસની કમીઓ ઉજાગર કરવા સાથે જ મંત્રીઓને પણ આડેહાથ લીધા હતા. હવે કોંગ્રેસને ગુજરાત અંગે સૂચક ચેતવણી આપી છે. અગાઉ જુલાઈ 2020માં સચિન પાયલોટ જૂથના બળવા સમયે પણ રાજસ્થાન કોંગ્રેસમાં તૂટના અણસાર હતા, પરંતુ આખરે બધો મામલો થાળે પડી ગયો.
રાહુલ ગાંધીને મળવા 25 ધારાસભ્યએ પત્ર લખ્યો
પાંચ રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં, પંજાબ જેવું મહત્ત્વનું રાજ્ય ગુમાવવું પડયું હોવાથી કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી ગયો છે ત્યારે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને સૌરાષ્ટ્ર - ગુજરાતનાં કોંગ્રેસનાં ધારાસભ્યોમાં સળવળાટ જોવા મળ્યો છે. 25 જેટલા કોંગી ધારાસભ્યોએ પત્ર લખીને પક્ષનાં નેતા રાહુલ ગાંધીને મળવાનો સમય માગ્યો છે. ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યો રાહુલ ગાંધીને દ્વારકામાં ચિંતન શિબિર વખતે જ મળવા માગતા હતા, પરંતુ પ્રદેશના નેતાઓ આ બેઠક ગોઠવી શકયા ન હતા.
0 Response to "રાજસ્થાનના CM અશોક ગેહલોતના સલાહકારનું ટ્વીટ, વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર"
ટિપ્પણી પોસ્ટ કરો