અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, શોડશોપચાર પૂજા સાથે ગજવેશ દર્શન થશે
અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, શોડશોપચાર પૂજા સાથે ગજવેશ દર્શન થશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આગામી પહેલી જુલાઈએ યોજાશે. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આવતીકાલે મંગળવારે સવારે આઠ વાગ્યે ભગવાનની જળયાત્રા યોજાશે.સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન થશે. ત્યાર બાદ 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે અને શોડષોપચાર પૂજા વિધી કરવામાં આવશે.ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે.
જમાલપુર જગન્નાથ મંદિરે ભગવાનની જળયાત્રાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. બળદગાડા, હાથી અને બેન્ડવાજા સાથે આ જળયાત્રા યોજાવવાની છે. જેને પગલે મંદિરમાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે
કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોના નહિવત કેસો હોવાને પગલે ભવ્ય ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલા મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ''જળયાત્રા’ જેઠ સુદ પૂનમને આવતીકાલે મંગળવારે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવા વરઘોડા રુપે પહોચશે. સાબરમતી નદીના ભુદરના આરે ગંગાપૂજન કર્યા પછી ત્યાંથી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે.
ભગવાનને ગજવેશથી શણગારી મોસાળ મોકલાશે
આ જળથી ભગવાનનો મહાભિષેક કરી શોડષોપચાર પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે. સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં પહોંચી જશે અને જ્યાં પણ લોકો દર્શન કરી શકશે.આ જળયાત્રા મહોત્સવમાં મુંબઈ અને ડાકોરના પ.પૂ મંગળપીઠાધીશ યજ્ઞસમ્રાટ ટીલાદ્વારા ગાધાચાર્ય 1008 માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદો, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહેશે.

0 Response to "અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, શોડશોપચાર પૂજા સાથે ગજવેશ દર્શન થશે"
ટિપ્પણી પોસ્ટ કરો